દુલીરામના પેંડા....

History of Duliram Na Penda

#વડોદરા: વડોદરાના ફેમસ દુલીરામના પેંડાએ 160 વર્ષથી એક જ ટેસ્ટ જાળવી રાખ્યો છે. વર્ષોથી પેંડાના બોક્સમાં પણ કોઇ ફેરફાર થયો નથી. દુલીરામ શર્માની પાંચમી પેઢી હાલ આ વ્યવસાય સંભાળી રહી છે. દુલીરામ પેંડાની ફોર્મ્યુલા પેંડાની શરૂઆત કરનાર દુલીરામ શર્માની છે, જે આજે પણ સિક્રેટ છે. જેથી રક્ષાબંધનના તહેવારમાં દુલિરામના પેંડા લેવા માટે લોકો લાઇનો લગાવે છે.
વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં 1885માં કાઉન્ટેસ ઓફ ડફરિન હોસ્પિટલ (હાલની એસએસજી હોસ્પિટલ )નું ઉદ્ધાટન કરવા લોર્ડ ડફરીન તેમના પત્ની કાઉન્ટેસ ઓફ ડફરીન સાથે વડોદરા આવ્યાં હતા. આ મુલાકાત દરમિયાન યોજાયેલી મિજબાનીમાં કાઉન્ટેસ ઓફ ડફરિનને એક વાનગી ખૂબ ગમી હતી. એ હતી દુલીરામના પેંડા. ત્યારે તેમણે તેને ‘ચોકલેટ’ તરીકે ગણાવી હતી. તેને તેઓ પોતાની સાથે ઇંગ્લેન્ડ લઇ જવા પેક કરાવ્યાં હતા.
આ ઇતિહાસનો સયાજીવિજયના જૂના અંકમાં ઉલ્લેખ પણ છે, સાથે જ ‘દુલીરામ’ની આજની પાંચમી પેઢીના વારસદારો આ કિસ્સો ગૌરવ સાથે યાદ કરે છે. દાયકાઓથી વડોદરાવાસીઓ માટે શુભ પ્રસંગે પેડાના પર્યાય બનેલી આ દુકાનનો દેખાવ અને અંદરની રચના 160 વર્ષથી યથાવત્ છે. રાવપુરામાં આવેલી આ દુકાનના આ પરિવારના જ સભ્ય સંજયભાઇ મામા અને જતીનભાઇ શર્મા કહે છે કે, ‘લોકોને કદાચ વિશ્વાસ નહીં પડે પણ અમારી દુકાનમાં પેડા આપનાર, પેંડા બનાવવાની જગ્યા, ‘શેઠ’ની ગાદી, પૂજાનું સ્થાન, પેંડા મૂકવાની જગ્યા બધુ જ દુકાન શરૂ થઇ ત્યારથી એવું જ છે. કેટલુક ફર્નિચર પણ એ જમાનાનું જ છે.’ આ દુકાનના પેડાના સ્વાદ ઉપરાંત બીજી ખાસિયત પેડાનું બોક્સ છે. આ બોક્સ આજે પણ પુઠાનું છે અને તેને બનાવનાર પણ એ જ પરિવારના છે.’
તેઓ કહે છે કે, જેને અમારા બાપ-દાદાઓએ કહ્યું હતું તેમને જ અમે યથાવત રાખ્યાં છે. લગભગ 50 વર્ષ પહેલા સુધી લાકડાની સળીઓના નાના કરંડિયા અને કાગળમાંથી બનાવેલા બોક્સમાં પેડા આપતાં હતા. સ્વાદ માટે તેઓ કહે છે કે, એ ફોર્મ્યુલા દુલીરામ શર્માની છે, જે સિક્રેટ છે. એટલું જ નહીં કેટલાક કારીગરો તો ત્રણ પેઢીથી છે. પેઢી દરે પેઢીથી કામ કરે છે. માવો પૂરો પાડનારા લોકો પણ પેઢીઓથી યથાવત્ છે. કાઉન્ટેસ ઓફ ડફરિન પેડા લઇ તો ગયા પણ સમુદ્રી વાતાવરણની અસર શરૂ થતાં એ પેડાને મુસાફરી દરમિયાન જહાજ પર જ વહેંચી દેવા પડ્યાં હતા.
દુકાનના ઇતિહાસ વિશે વાત કરતાં જતીનભાઇ શર્માએ જણાવ્યું કે, ‘દુલિરામ 160 વર્ષ અગાઉ આવ્યાં હતા. ત્યારે મહારાજા ગણપતરાવ ગાયકવાડનું શાસન વડોદરામાં હતું. મૂળે મથુરા પાસેના નાનકડા ગામના રહીશ દુલીરામ તે જમાનામાં દુકાળ પડતાં વડોદરા આવ્યાં હતા.’
મહારાજા સયાજીરાવ બીજા મિષ્ઠાનના શોખીન હતા. તેથી તેમણે અલાયદુ મિષ્ઠાન વિભાગ શરૂ કરાવ્યું હતું. તેમને દુલીરામના પેંડા પસંદ આવ્યાં હતા. પેડાની લોકપ્રિયતા વધતાં દુલિરામ અને તેમના વારસદારોએ વડોદરા જ રોકાઇ જવાનું પસંદ કર્યું હતું.
વડોદરા સ્ટેટની મુલાકાત સમયે લોર્ડ ડફરિન જ નહીં પણ પ્રિન્સ એડવર્ડ (1922), લોર્ડ રિડિંગ (1925) અને લોર્ડ લિંગ્લીથગો(1937)ને પણ વડોદરાના મહારાજા સયાજીરાવ વિદાય પ્રસંગે વડોદરાની મીઠાઇઓ આપતાં હતા. જેમાં ‘દુલીરામ’ના પેડા પણ ચોક્કસ મુકાવતાં હતા.

Comments

Post a Comment

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...