વ્યથા - આજના શિક્ષકની..

••• 1 •••

છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે.

ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.

ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતા હતાં. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (રાજકારણ ખરાબ બાબત છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતાં હતાં. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !

હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં ક્લાર્કને બેંકલોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. પ્રશ્નપત્રો અને OMR SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી ફરીયાદ લઈને આવ્યું હોય !!!

પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ ચાલુ છે.

વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં કીડ્સ ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે “શિક્ષાર્થી” છે “વિદ્યાર્થી” નથી.

દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના અઢળક પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક એક્ટેવીટી ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !!

કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી ખાટી છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ વલોવાઈ જાય છે.

દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી...
એક શિક્ષકનો ખુલાસો જન હિત માં જારી...

••• 2 •••

*સરકારે શિક્ષકોને મૃતદેહ ગણતરી ની કામગીરી આપી : એક શિક્ષક મૃતદેહો ગણવા ગયા. સ્મશાને પોહચ્યાને ગણતરી શરૂ કરી ત્યાં એક મડદુ ઉભું થયું ને બોલ્યું કે સાહેબ તમે તો અમારી ઘરે વસ્તી ગણતરીમાં આવ્યા હતા અને પછી અનાજ વિતરણમાં પણ આવ્યા હતા કોરોના વેકશીનમાં પણ તમે જ હતા, ચૂંટણી માં પણ તમે જ હતા . હવે અહીંયા પણ તમે ? સરકાર ને કહો કે કોક દી' છોકરાઓને ભણાવવાનું કામ આપે. આટલું બોલી મડદુ પાછુ સુઈ ગયું !!!*

••• 3 •••

આજથી 10-15 કે 20 વર્ષ પહેલા સરકારી પ્રાથમિક શાળા એટલે --

ગામની શોભા
સંસ્કાર મંદિર
પ્રામાણિકતા
વિશ્વાસનું પ્રતિક
અતૂટ વિશ્વાસ
સુંદર પ્રાર્થનાસભા
આનંદમય બાલસભાઓ
ભયમુક્ત વાતાવરણ
કરી છૂટવાની ભાવના
કૌશલ્યવર્ધન કેન્દ્ર
તાદાત્મ્ય
શાળા એક પરિવાર
પ્રેમભાવ
લાગણીસભર વાતાવરણ
શિક્ષક સન્માન
કાર્ય તત્પરતા
શાળા માટે ચિંતન
નિયમિતતા
ભાવાવરણ
મૂલ્યલક્ષી
બાળકેન્દ્રી
તમામનો સહકાર
ગામનો સહયોગ
શાળા એક મંદિર
સ્વતંત્રતા
નિર્ભયતા
નિષ્ઠા
શિક્ષકની આભા
શિક્ષકની પ્રતિભા
અભાવમાં પ્રભાવ
પ્રયોગોની પાઠશાળા
શનિવારે સામુહિક કસરત
કેળવણીસભર
પ્રવૃત્તિસભર શિક્ષણ
બાળગીતોની મજા
બાળવાર્તાઓનો જલસો
હકારાત્મકતા
નૂતન ઉર્જાનું કેન્દ્ર.
નવી સરકારી શાળાઓ ખુલતી



 *અને અત્યારે ???????*

મોટા સાહેબનો મોટો ભય
ઓનલાઇન હાજરી
ઓનલાઇન પગાર
ઓનલાઇન માસિક પત્રક
ઓનલાઇન એન્ટ્રી
ઓનલાઇન તાલીમ
ઓનલાઇન મ.ભો. આંકડા
ઓનલાઇન મિટિંગ
ઓનલાઇન રજા રિપોર્ટ
ઓનલાઇન શિષ્યવૃત્તિ
ઓફલાઈન પત્રકોની ભરમાર
ક્લિષ્ટ પરિપત્રો
જવાબદારીની ફેંકાફેંકી
એકમ કસોટીની માયાજાળ
ભયનું સામ્રાજ્ય
ઉત્સવોની અતિશયોક્તિ
બિનજરૂરી સ્પર્ધાઓની ભરમાર
કામગીરીનો બોજ
શિક્ષાત્મક ધમકીઓ
શિક્ષકનું અવમૂલયન
આચાર્યની માઠી
શિક્ષકો તણાવયુક્ત
વાલીઓનો અસહકાર
મૂલ્યોનો હ્રાસ
દોડમદોડ
સીસીટીવી
દર્પણ
ભાષાદીપ
નોટિસ
ખુલાસા
સજા
અનિયમિતતા
અવિશ્વાસ
વાલીઓની ફરિયાદો
ગામનો ચંચુપાત
રાજકીય દખલગીરી
ખોટા અર્થઘટન
નાણાકીય જવાબદારીઓ
ક્લિષ્ટ કામગીરીઓ
બિનઉપયોગી સલાહો
બિનઅસરકારક મોનીટરીંગ
નીરસતા
ખાનગી ક્ષેત્રને મહત્વ
વાલીઓનો અવિશ્વાસ
અવ્યવસ્થિતતા
માત્ર નોકરી
કહેવા ખાતર સૂચનાઓ
સૂચનાઓનું ષડયંત્ર
માનસિક તાણ
રાજ્યકક્ષાએ સંકલનનનો અભાવ
ખોટા ફોટાઓ
ખોટા અહેવાલો
ખોટા આંકડાઓ
ખોટા પ્રેઝન્ટેશન
કારણ વગરનો ત્રાસ
શાળા પ્રત્યે અરુચિ
બિનજરૂરી ડિજિટલ વ્યવસ્થા
મોબાઈલની મગજમારી
વૉટ્સએપ સૂચનાઓ
વર્કપ્લેસ
ફેસબૂક ગ્રુપ
યુ ટયુબ
ટવીટર
બ્લોગ
ઈ-કન્ટેન્ટ
ઈ-મેઈલ (કાયમી ભરેલું)
કારણ વગરના કામ
બંધ કોમ્પ્યુટર લેબ
કોઈ ધણી ધોરી નઈ
અધિકારીઓની અણઆવડત
એસ.આઈ . (પોતેજ પ્રશ્નાર્થ )
અવ્યવસ્થાનું સામ્રાજ્ય
દરેક તબક્કે ધમકીઓ
શાળાઓને તાળાબંધી
ફરજીયાત તાસ પદ્ધતિ
તાલીમોનો તરખાટ
આર.ટી.આઈ.(માત્ર ત્રાસ આપવા માટે જ )
ખાતાકીય તપાસોના નાટક
શાળા તપાસ (મોટ્ટા મોટ્ટા સાહેબો દ્વારા )
કામ કરનારને વધુ કામ
કામચોરોને જલસા
માર્ક્સની માથાકૂટ
અભિયાનોની હારમાળા
અધ્યયન નિષ્પત્તિ (????)
સ્વાધ્યાયપોથીઓ
ચકાસવા ખાતર ચકાસણી
લાંબા લાંબા કોર્સ
ટૂંકા ટૂંકા સત્રો અને સમયનો વેડફાટ
ગમે ત્યારે રજાઓ કેન્સલ
ગમ્મે ત્યારે વળતર રજા
વહીવટી ભ્રષ્ટાચાર
બિનજરૂરી રાડારાડી
શિક્ષક્ત્વ ગાયબ
શાળા મર્જ અને બંધ
શિક્ષક ઓવરસેટઅપ
શિક્ષકનું સન્માન ગાયબ
અજબ ગજબ ઓડિયો સંદેશ
અજબ ગજબ વિડીયો સંદેશ
સમગ્ર તંત્રની સંકલન વગરની દોટમદોટ
તાલુકો - જિલ્લો- રાજ્ય તમામ ચિંતાગ્રસ્ત
અવિશ્વાસની વિચારધારાઓ

 *આવડે છે એને જાવા દ્યો જેને નથી આવડતું એમાં આખું વર્ષ ધંધે લાગો*

ઘણું લાબું થશે હજીતો

 *પરંતુ, અંતે*
 *સાવ સાદો અને સરળ સવાલ...

 *એલા ભાઈ તમે કરવા શું માંગો છો ????*

••• 4 •••

આજનો શિક્ષકદિન અધૂરો એટલે લાગે છે કે શિક્ષકોને પૂર્ણતાનો પરિચય કરાવનાર અમારા  વિદ્યાર્થીઓ આજે અમારી  સ્કૂલમાં નથી...... સ્કૂલમાં પગ મૂકીએ ને દોડતા આવે કે  પહેલા good મોર્નિંગ કોણ કહીદે છે એ વાત માટે રોજ હરીફાઈ કરે , પ્રાર્થનાસભા, હાજરી અને પછી ક્રમસઃ શરૂ થતા 8 પિરિયડ, ને તે દરમિયાન તેઓનો  શોર બકોર, સ્કૂલ માં થતી ચહલ પહલ.. બદલાતા તાસ ની વચ્ચે વાતું કરવાનો એક પણ અવસર ના ચુકતા તેઓ,  અમારી વઢ ખાતા ને પછી વ્હાલા લાગતા તેઓ , કંથસ્થીકરણ માં ગાતી વખતે આખો વર્ગ ગજવી નાખતા તેઓ.. .. કોણ જાણે ક્યાં ખોવાઈ ગયા... આ કોરોના એ તો અમનેય શિક્ષક માંથી ટેલિફોનઓપરેટર બનાવી નાખ્યા હોય તેવું લાગવા માંડ્યું છે, જોકે સારુ છે તમને મળવાનું એ એક્માત્ર માધ્યમ છે, મોબાઇલ અને ટીવી ના ઉપયોગની હમેશા તમને ના પાડતા આજે એજ આપણી શિક્ષણપ્રક્રિયા ના માધ્યમ બની ગયા છે,,, સાચું કે જે મારાં વ્હાલા વિદ્યાર્થી! તને વર્ગખંડ શિક્ષણ જેવું મોબાઇલ માં ફાવે છે કે???? મને તો તું સામે હોય ને, મારામાં એકરૂપ બની આપણી વચ્ચે તાદાત્મ્ય સધાય ને વિષય વસ્તુ ની સમજ મેળવતા દુનિયાની સફર કરી આવવા નો અહેસાસ થાય, 35 મિનિટ  સાર્થક કરવાનો ઉમંગ લઇ હું વર્ગખંડ માંથી નીકળું ત્યારે સ્વર્ગ માંથી નીકળવાની અનુભૂતિ થાય..... ત્યારે મેં ભણાવ્યું હોય એવું લાગે.... આ ઓનલાઇન શિક્ષણ અધૂરું અધૂરું લાગે છે.... આ કોરોનાએ પહેલા લોકડાઉન કરાવ્યા, ધીરે ધીરે અનલૉક ની પરિસ્થિતિ આવી જ્યાં બધું ખુલવા લાગ્યું ફક્ત ના ખુલી આપણી  શાળાઓ... અમે એ શાળાઓમાં જઈએ છીએ... પણ જાણે લોકડાઉન થઇ ગયા હોઈએ એવું લાગે છે, કારણ કે તમારો પગરવ ત્યાં નથી, કિલ્લોલ, કોલાહલ, ના બદલે સાવ નિરવ શાંતિ !!!! ઘંટ ના ટકોરે ચાલતા અમે  ઘંટ વાગવાનો અવાજ પણ ભૂલી ગયા છીએ.... હે ઈશ્વર! પરિસ્થિતિ પૂર્વવત થાય,.. સુની શાળાઓ ના આંગણા ગાજતા થાય, કોરોના નો કહેર મટે ત્યારે અમે શિક્ષકદિન ઉજવીશુ.... ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને નતમસ્તક પ્રણામ પણ દર વર્ષ જેવો ઉમંગ આ વર્ષે ક્યાંથી લાવવો?????

ડૉ. પૂજા આર. કેવડિયા
સી. કે. એમ. કન્યા વિદ્યાલય -મુન્દ્રા

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...