- ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું

- ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે


કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૃપ થાય છે, એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે માનવ શરીર માટે જરૃરી ૨૦ એમિનો એસિડમાંથી ૯ એમિનો એસિડ શરીરમા બનતા જ નથી.

આ નવમાંથી આઠ એમિનો એસિડમાં ફિનાઇલ એલેનિન, વેલિન, થ્રિઓનિન, ટ્રીપ્ટોફન, મેથેઓનિન, લ્યૂસિન, આયસોલ્યુસિન, લાયસિન અન હિસ્ટિડિન ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતાં પ્રોટીન જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે. શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

તદુપરાંત માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામીન બનતા નથી. આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે. ગોટલીમાંથી વિટામિન સી, કે અને ઈ મળે છે. તે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિ ઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવે છે. તેમ જ ગોટલીમાંથી સોડિયામ, પોટેશિયમ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, આયર્ન (લોહતત્વ) જસત, મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે. કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો ગોટલીમાં છે.

શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી. ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે. તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત ૪૪થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ ઉપરાંત જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે. ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૃપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલીમાંનું મેન્ગીફેરિનનું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,મંગળવાર
કેરીની ગોટલીમાં જોવા મળતું મેન્ગીફેરિન નામનું ઘટક ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે. તેમ જ તેમાંના આઈસો મેન્ગીફેરિન, ફ્લેવોનાઈડ્સ જેવા ઘટકો કેન્સર અને મેદસ્વિતા જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે. આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે આપણા આહારમાં પોલીસેકરાઈડના સ્વરૃપમાં સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડે છે અને તે બ્લડમાં ભળે છે. આ માટે આંતરડાંમાં એમિલાઈઝ નામના પાચક રસો ઝરે છે. આ રસો સ્ટાર્ચમાંની સુગરને અલગ પાડવાનું કામ કરે છે. પંરતું મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે. તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્લડમાં સુગર ભળતી જ નથી. તેથી ડાયાબિટીશ અંકુશમાં રહે છે.

છાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે
કેરીની ગોટલીની માફક કેરીની છાલમાં પણ મેન્ગીફેરિન છે. તેથી પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે. છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં ફાઈબર પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે. શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે

સંકલન - જયંતી પરમાર "નિર્દીષી"

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...