-( પાંચ ચોપડી ભણેલી - ફાઈવસ્ટાર ડાયેટિશ્યન )-

ગીતા બહેન પટેલ -
ખાલી પાંચ ચોપડી ભણેલા...
પણ,
એમની કોઠાસૂઝ ગજબની !

એમના પતિ કરસનભાઈને -
ડૉક્ટર ભાવસાર સાહેબે આ વખતે તો ચોક્ખા શબ્દોમાં કીધું કે -
હવે ડાયાબિટીસ કાબૂમાં નહિં રાખો...
તો,
પગ કપાવવો પડશે !

આ છેલ્લી વખતનું ઓપરેશન છે...
જો 'સડો' હાડકામાં પહોંચ્યો...
તો,
આટલા ડાયાબિટીસને લીધે - 'સેપ્ટિસિમીયા' થઈ આખા શરીરમાં એનું ઝેર પહોંચી શકે છે  !

જો એવું થાય તો,
ઝેરનાં લીધે -
કિડની, લિવર , મગજ , ફેફસાં અને હૃદય બધું જ ઠપ થઈ જાય !

ગીતા બહેને પણ આ વાતને ગંભીરતાથી લીધી.

એમણે ભાવસાર સાહેબને પૂછ્યું કે -
પહેલા તો એક ગોળી થી ડાયાબિટીસ કાબૂમાં આવતો હતો...
પછી,
ધીમે ધીમે બે, ત્રણ, ચાર ગોળીઓ અને પાછળથી તો એ પણ અસર કરતી ન હતી.

હવે તો ઈન્સ્યુલીનના ઈંજેકશન પણ થાકી ગયા હતા.

આ વખતનો એચ. બી. એ. વન. સી રિપોર્ટ ૧૨.૫ હતો,
ફાસ્ટિંગ ૨૨૦ અને પી.પી.બી.એસ. ૪૫૦.

દિવસે દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી હતી...
એમાં -
હવે પગમાં કશું વાગી જાય તો -
ખબર પણ પડતી ન હતી !

જ્યારે પાકે અને રસી નીકળે...
ત્યારે -
કોઈ કહે તો જ કરસનભાઈનું ધ્યાન જાય.

એમને પગનાં તળિયામાં સોય વાગે કે કાચ કોઈ જ વેદના ના થાય.

આનું કારણ જાણવા ગીતાબહેને સાહેબને વિનંતી કરી...

ડૉક્ટર ભાવસારે જણાવ્યું કે -
લાંબા ગાળાના ડાયાબિટીસમાં આખા શરીરની લોહીની નળીઓ અને ચેતાઓ સૂઝી જાય છે.

હૃદય, કિડની, મગજ વગેરે અંગો ખરાબ થઈ જાય છે.

હૃદય અને મગજમાંથી -
વિવિધ અંગો હાથ પગ તરફ આવતી જતી ચેતાઓ પણ સૂઝીને બિનકાર્યક્ષમ થઈ જાય છે.

આ બધાને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે...
અને,
સંવેદના પણ જતી રહે છે.

એટલે -
નાનું મોટું વાગવાનું થાય તો ખબર પડતી નથી.

ગીતા બહેને પૂછ્યું કે -
સારામાં સારા ડાયાબિટીસના ડૉક્ટરોને બતાવવા છતાં પણ...
આ રોગ કેમ કાબૂમાં નથી આવતો ?

ડૉ. ભાવસારે જૂની બધી ફાઈલો અને રિપોર્ટ તપાસ્યાં.

ડૉક્ટરો તો બધાં ડીગ્રીધારી હતાં,
કોઈ ઊંટવૈદ પાસે તો એ લોકો જતાં ન હતાં.

દવાઓ પણ બધી જ સારી અને સ્ટાન્ડર્ડ હતી...

તો પછી -
પાંચ જ વર્ષમાં આ હાલત શા માટે ?

ડૉક્ટરે કઢાવી કરસનભાઈનાં ખોરાક (ભોજન) ની આદતોને...

ઊંડા ઊતરતા ખબર પડી કે -
એમને 'બે' વખત પેટ ભરીને જમવાની આદત હતી.

આખા દિવસનો ખોરાક ખૂબ વધારે હતો...

પાછી,
તેમની આદત હતી કે -
બંને વખત પેટ ભરીને દબાવીને ઓડકાર આવે એમ ખાવું !

પાછું વચ્ચે-વચ્ચે નાસ્તા ફરસાણ અને ચાર-પાંચ વખત ચા-પાણી...

આ બધી આદતો -
ડાયાબિટીસનાં દર્દી માટે તો આપઘાત કરવા બરાબર કહેવાય !!

બીજું,
કરસનભાઈ જમવામાં માત્ર રોટલી , ભાખરી, પરોઠા અને શાક જ ખાતાં હતાં.

બધા ડૉક્ટરોએ -
એમને ભાત - બટાકા - ખાંડ - ગોળ -આઈસ્ક્રીમ - મિઠાઈથી દૂર રહેવાનું કીધું હતું.

એ બધી પરેજીઓનું એ ચુસ્ત પાલન કરતાં હતાં...
પણ,
સ્થિતિ વધુ ગંભીર બની હતી.

જો કે -
હજી કિડની રિપોર્ટ બગડ્યા ન હતાં.

ડૉક્ટર ભાવસારે ગીતાબહેનને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે -
કરસનભાઈને હવે દિવસમાં દર બે-અઢી કલાકે એમ કુલ પાંચ થી છ વખત બહુ જ થોડું થોડું ખાવાનું...

ખોરાકમાં પણ હવે ૫૦% જેટલાં પ્રમાણમાં -
વિવિધ શાકનાં સૂપ,
તપેલીમાં ઢાંકીને ધીમા તાપે ઉકાળીને બાફીને,
પછી એકદમ ઓછા તેલમાં વઘારેલા વિવિધ શાકભાજી,
જુદા જુદા સલાડ અને ગળપણ વગરનાં બધાં જ ફળો આપો...

બીજા ૨૫% પ્રમાણમાં વઘારેલા સ્પ્રાઉટ ( ફણગાવેલ કઠોળ )
અથવા
વિવિધ પ્રકારની અલગ અલગ ધીમા તાપે  ઉકાળીને બાફેલી વઘારેલી દાળ આપો...

પ્રેશરકૂકરને બદલે 'ઉકાળી'ને બાફવાનું...

એટલા માટે કે -
ધીમા તાપે ખોરાકનાં પોષક તત્વો સચવાઈ રહે અને નાશ ના પામે !!

પ્રેશરકૂકર ભારે દબાણ માં ખોરાક રાંધે છે એટલે એની અંદરનાં ઘણાં બધાં તત્વો નાશ પામે.

બાકીનાં ૨૫% આખું અથવા અડધું દળેલું બધી જાતનું અલગ અલગ અનાજ આપો.
લોટ તો બિલકુલ બંધ !!

કરસનભાઈ તો ઊકળી ઊઠ્યા... અને તડૂકીને બોલ્યા -
સાહેબ !
લોટ બંધ તો મારે ખાવાનું શું ?

ગીતાબહેને કરસનભાઈને શાંત કરીને...
સાહેબને પૂછ્યું કે - સાહેબ !
લોટ કેમ બંધ કરાવ્યો ?

ત્યારે,
સાહેબે ખાંડ-મીઠા અને પાણીનું ઉદાહરણ આપીને કીધું કે -
જે વસ્તુ તરત જ ઓગળે...
તે બહુ 'નુકસાનકારક' કહેવાય !!

જેમકે -
આખો મોટો ગાંગડો પાણીમાં નાંખો...
તો -
એને ઓગળતાં ખાસી વાર લાગે,

જયારે -
નાના ટુકડા થોડી મિનિટોમાં ઓગળે...
અને,
દળેલો ભૂકો કોઈ પ્રયત્ન વગર તરત જ ઓગળી જાય !!

એવું જ અનાજનું પણ છે.
આખું અનાજ રાંધો...
તો -
એ દસ બાર કલાકે લોહીમાં ભળે !

જયારે અડધું દળેલું અનાજ છ આઠ કલાકે ભળે.
બારીક દળેલું તરત જ ભળવા લાગે !!

આટલી સીધીસટ વાત ગીતાબહેનનાં મગજ પર તામ્રપત્રની જેમ અંકાઈ ગઈ.

એમણે હવે કરસનભાઈનું સુગર નીચે લાવવાની આખી જવાબદારી એકલા હાથે ઉપાડી લીધી...

વધુમાં -
ભાવસાર સાહેબે ગીતાબહેનને ચોક્ખા શબ્દોમાં કીધું કે -

હવે કરસનભાઈને હવે તમારે જાતે રોજ બે વખત પગ સાફ કરી ધોઈને તપાસી આપવાનાં કે કશું વાગ્યું કર્યુ નથી ને ?

શક્ય હોય તો...
બધે જ ચાલતા જ જવાનું !

વાહન તો ના છૂટકે જ વાપરવાનું.

ખોરાકની સખત પરેજી...
અને,
રોજ ૪૦-૪૦ મિનિટ સવાર-સાંજ ચાલવાથી...
ડાયાબિટીસ એકલા દવા લેવા કરતાં વધારે ઝડપથી કાબૂમાં આવે છે.

ખાલી પાંચ ચોપડી ગામડે ભણેલા ગીતાબહેનની સમજણશક્તિ -
એક ડબલ ગ્રેજ્યુએટ કરતાં પણ વધારે હતી.

કોઈ સામો સવાલ નહિં,
કોઈ કકળાટ કે ચાંપલાપણું નહિં.

બહુ ડાહ્યા બહુ ખરડાય.
ભણેલા વિચારોમાં અને ગુગલનાં ગુગલીજ્ઞાનમાં અટવાઈ જાય.

ઓછું ભણેલા બહુ જલ્દી સમજી જાય !

ઘરે આવીને -
સૌથી પહેલા તો એમણે પ્રેશર કૂકર અને ઘરઘંટીને સ્ટોરરુમમાં મૂકી દીધાં.

સ્ટોરરુમમાંથી જૂની અસ્સલની પત્થરની ઘંટી બહાર કાઢી...

ઘઉં, જવ, કઠોળ અને એને ફણગાવવાની કાણાવાળી ટોકરીઓ અને કપડા બહાર કાઢ્યા...

બીજે દિવસે -
સવારે મોળી ચા જોડે વાડકી શેકેલા ચણા નાશ્તામાં આપ્યા.

ના પાડતા પાડતા થૂ-થૂ કરતાં...
પણ,
કરસનભાઈ આ બધું ગળે ઊતારી ગયાં !

હવે ગીતાબહેન ઓસરીમાં બેઠાબેઠા...
બધી જ જાતનાં અનાજ જેમ કે-
ઘઉં, જવ, જુવાર, રાગી , બાજરી, મકાઈ, વગેરેને પત્થરિયા ઘંટીમાં દળીને અડધાં ભરડ્યાં...

અને,
બાકીનાં અડધાં અનાજને સાંબેલાથી ખાઈણામાં છડ્યા.

પછી,
તુવેર, ચણા, વટાણા, મગ, મઠ, અડદ, ચોળા અને વાલને ભરડીને એ બધાની અલગ અલગ છોતરાવાળી દાળ પાડી.

વાડીમાંથી તાજાં શાક અને ફળો લઈ આવ્યાં.

આ બધું જોઈને કરસનભાઈ બરાડ્યા -
ખોટી મહેનત કર મા....

હું આ બધું ઘાસફૂસ નથી ખાવાનો !

હું તો ચીકાભાઈની હોટલ પર જઈને ફાફડા જલેબી ખાઈ લઈશ...
અને,
વધારે ભૂખ લાગશે તો -
શારદા લોજમાં જઈને દાળભાત શાક રોટલી ખાઈ લઈશ.

બબડતા બબડતા...
એ છાપામાં નીરવ મોદીનાં કૌભાંડને ખણખોતરવા લાગ્યાં !

રોજ વાગતી કૂકરની સીટીઓ...
આજે શાંત પડી ગઈ હતી...

અને,
એને બદલે ચટણી પીસવાનાં ખલદસ્તાની ચટરપટર સંભળાતી હતી !

કરસનભાઈ બહાર જઈને પેટપૂજા કરવા એક્ટિવાની ચાવી શોધતા હતાં...
પણ,
એ તો ગીતાબહેને ક્યાંક સંતાડી દીધી હતી !!

અકળાયેલા કરસનભાઈ ગલીના નાકે જઈ કશુંક નાસ્તો કરવા ચંપલ પહેરતાં હતાં....
ત્યાં જ -
રસોડામાંથી વઘારની સરસ સુગંધ આવી.

આવી સુગંધ તો રોજનાં રોટલી દાળભાતમાં જરાપણ આવતી ન હતી.

ફડાક દઈને એમની ભૂખ ઊઘડી ગઈ !

રસોડામાં જઈ એમણે ગીતાબહેનને પૂછ્યું -
" આ શું બનાવ્યું ?"

ગીતાબહેને હળવાશથી મજાકમાં કહ્યું -
" તમારા માટે જ ખાસ ઘાસફૂસ રાંધ્યું છે ! "

કરસનભાઈ બોલ્યા -
આજે તો આ ઘાસફૂસ જ ખાઈશ,
સરસ સુગંધ આવે છે !

અને સાચેજ એ દિવસે કરસનભાઈએ કોઈ જ ફરિયાદ વગર એમની આ નવી રસોઈ આરોગી !

ગીતાબહેને ઘઉંના ફાડા અને વટાણા ને ઉકાળીને...
મીઠું-મરી નાંખીને બાફેલા...
અને,
સાથે ડુંગળી લસણવાળા વઘારથી રીંગણનું પાણીવાળું શાક બનાવેલું.

સાથે બે ગ્લાસ ઠંડી મોળી છાશ...
અને,
ડીશ ભરીને જીરુ-મીઠું ભભરાવેલું કાકડી-ટામેટાનું કચુંબર પણ !!

આજે પણ બરાબર દબાવી દબાવીને ખાધું હતું...
પણ,
પેટ બિલકુલ ભારે ના લાગ્યું !

આજે તો બપોરે દુકાને ઊંઘ અને આળસ પણ ના આવી !!

જમતા પહેલા તો કરસનભાઈને એમ લાગ્યું કે -
આજે પેટ નહિં ભરાય...
પણ,
આજે જ્યારે સવારે દસ વાગ્યે જમ્યા પછી પણ...

છેક સાંજે સાત વાગ્યા સુધી વારંવાર ભૂખ ના લાગી !

ત્યારે એમને લાગ્યું કે -
આ તો ખરેખર જાદુ જ છે.

નવાઈ એ વાતની છે કે -
આજે એમણે દુકાન પર રોજની જેમ સાંજ સુધીમાં ન તો બે-ચાર ચા પીધી...
કે,
ન તો બે-ચાર કોલ્ડડ્રીંક !

ના મંગાવ્યા કોઈ નાસ્તાપાણી...
અને,
ના ફાક્યા ફરસાણનાં પડીકા !!

બસ,
બપોરે ચાર વાગે ગીતાબહેને એમને આપેલી બે નારંગી એમણે પેશીઓ સહિત ખાધી હતી...
એના પર જ આખો દિવસ નીકળી ગયો !
રાત્રે બાજરીનું ભડકું અને દૂધીનો સૂપ પીધો...

આજથી -
હવે ઓડકાર આવે એટલું નહિં ખાવાનું એ નિયમ બંનેએ લઈ લીધો.

આમને આમ દિવસો વીતતા ગયા...

હવે રોજ નવું નવું અધકચરું દળેલું અનાજ ખીચડી ની જેમ બાફીને થાળીમાં આવતું.

પાછી રોજ નવી દાળ, રોજ નવા નવા કચુંબર અને રોજ નવું શાક !

ક્યારેક પંજાબી શાક હોય,

કોઈ વખત ભાજીપાઉંનું શાક હોય,

વરાળે ચડેલ ઉંધિયું બને,

ક્યારેક કઢી હોય,
વળી વઘારેલું દહીં હોય...
કે,
પછી ઘણી વખત મદ્રાસી સંભાર !

હવે તો સામેથી જ -
કરસનભાઈ પરોઠા, રોટલી, પાઉં કે ઈડલીને બદલે...
રોજ અલગ અલગ બાફેલા અનાજ સાથે આ બધી અવનવી વાનગીઓ ખાવા લાગ્યા.

સૂપ, સલાડ, સ્પ્રાઉટ (ફણગાવેલા કઠોળ) ની અનેક વેરાઈટીઓ બનવા લાગી.

શાક, દાળ અને કઠોળની બધી ચટપટી વાનગીઓ ખાવાની પણ એની સાથે આવતી લોટની વાનગીઓ રસોડે નહીઁ બનાવવાની.

ગીતાબહેન સાચા અર્થમાં -
'રસોડાની રાણી' બની ગયા !!

હલકું ભોજન કરવાથી -
હવે રોજ બે વખત અડધો-પોણો કલાક ચાલવાનો પણ આનંદ આવતો.

ચાલવાની આળસ જતી રહી...
એટલે -
દુકાને જવા માટે હવે એક્ટિવાની જરૂર ન હતી.

ચાલવાથી સ્ફૂર્તિ આવે એમ સમજણ આવી...
એટલે -
એક્ટિવા પણ દિકરાને શહેરમાં મોકલાવી દીધું !!

આગલા ત્રણ મહિને રિપોર્ટ કરાવ્યા...
તો,
તેઓ માની જ ના શક્યા કે -

માત્ર લોટ બંધ કરી...
અડધું દળેલું અનાજ, દાળ અને શાકભાજી ખાવાથી અને ચાલવાથી -

અનિયંત્રિત ખરાબ ડાયાબિટીસ આટલો સરસ કાબૂમાં આવી શકે !!

ડાયાબિટીસનાં ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

અને,
હવે તો ધીમે ધીમે ઈન્સ્યુલીનનો ડોઝ પણ ઓછો થઈ ગયો.

વજન અને મેદ ઘટી ગયાં...
પગ પણ કપાતા બચી ગયો !!

પાંચ ચોપડી ભણેલા -
રસોડાની રાણી એવા..

આપણા ગીતાબહેન સાચા અર્થમાં -

'ફાઈવસ્ટાર ડાયેટિશ્યન' બની ગયા !!


શબ્દ વૈષ્ણવ :
( ડૉ. શ્વેતલ ભાવસાર)

સંકલનકર્તા :-
વિરેનભાઈ શેઠ (ભુજ-કચ્છ)
સંયોજક - ટીમ સુખડીયા
મો. +917600000138


પ્રસ્તુતકર્તા :-
          -( ટીમ સુખડીયા )-
સુખડીયા 'જન-જાગ્રૃતિ' અભિયાન

🎇🎈🎉🎊✨🎆

જેનાં ઘરમાં -
કોઈને પણ ડાયાબિટીસ હોય...
તેવા દરેક મિત્રો, સગાંસંબંધીઓને આ મેસેજ મોકલો...

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...