જે થયું, સારુ ના થયું...

આટલું બધું ઝેર લોકોમાં ક્યાંથી આવ્યું?
ચેન્નાઇના ઓર્થોપેડિક ડોક્ટર પ્રદીપ કુમાર માટે બે દિવસ અત્યાચારથી પણ બદતર સાબિત થયા છે. તેમણે તેમનો એક મિત્ર તો ગુમાવ્યો જ, જે ખુદ એક ન્યૂરોસર્જન હતો, પણ લોકોએ ગુસ્સામાં આવીને તેના મૃતદેહને દફન ના કરવા દીધો, અને પ્રદીપ કુમારે તેના દોસ્તને એક સન્માનજનક અલવિદા ફરમાવવા માટે જાતે માટી નાખવી પડી.
ડો. પ્રદીપે તેના દોસ્ત ડો. સિમોન હરક્યુલસને રાતના અંધારામાં હોસ્પિટલના બે સ્ટાફની મદદથી જાતે ખાડો ખોદીને દફનાવી દીધો, જેથી લોકો બીજીવાર મારવા ના આવે.
લોકોને વાંધો એ હતો કે ડોક્ટરના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે, તો અડોશપડોશમાં કોરોના ફેલાશે! જે ડોકટરે કોરોનાના દર્દીઓના જાન બચાવવા માટે ખુદનો જાન આપી દીધો, તેને મર્યા પછી બેઇજ્જતી 'જોવી' પડી.
ડૉ. પ્રદીપ કુમારે રડતાં-રડતાં તેની વ્યથા સંભળાવી:
"હું આખો દિવસ રડું છું. મને ખબર નથી કે કેટલા લોકોને અંતિમસંસ્કારના અનુભવ છે. મેં (ડોક્ટર તરીકે) મારા હાથમાં મોત જોયું છે, પણ મેં કોઈને દફનાવ્યો નથી. મારા ઘરમાંય નહીં. હું કોઈના દુશ્મન સાથે આવું થાય, તેય ના ઇચ્છું.
"એ બહુ કપરું હતું. એ (ડો. હરક્યુલસ) એટલો સજ્જન અને દયાળુ હતો કે કોઇ એને નફરત પણ ના કરી શકે. એટલી બધી અફવાઓ ચાલે છે કે દરેકને સોશ્યલ મીડિયા પર એક્સપર્ટ થઈ જવું છે. લોકોને ખબર જ નથી કે મૃતદેહને દફન કરવાથી કોરોના ના ફેલાય.
"ટોળાની એક જ જીદ હતી કે અમે મૃતદેહ લઈને જતા રહીએ. તેમણે અમારી પર હુમલો કર્યો. અમને લોહી નીકળે તેટલા માર્યા. જે એમ્બ્યુલન્સમાં મૃતદેહ હતો, તેનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. અમને મારી-મારીને ભગાડી દીધા.
"રવિવારે સાંજે અમે કબ્રસ્તાન જવાના હતા. લોકો ત્યાં ભેગા થઈ ગયા અને અમને ના પાડી. એટલે અધિકારીઓએ જગ્યા બદલી. વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઈડલાઇન પ્રમાણે અમે 12 ફૂટ ખાડો ખોદયો. 15 મિનીટમાં જ એક વિશાળ ટોળું આવ્યું અને અમારી પર પથ્થરમારો શરૂ કર્યો અને મોટી-મોટી લાકડીઓ મારવા માંડી. 50થી 60 લોકો હતા, અને જે વસ્તુ હાથમાં આવતી હતી, તેનાથી અમને મારતા હતા.
"એમ્બ્યુલન્સના ડ્રાઈવરને લોહી નીકળ્યું હતું. આમારે પાછા હોસ્પિટલમાં દોડવું પડ્યું. ડૉ. હરક્યુલસની 52 વર્ષની પત્ની અને 16 વર્ષનો દીકરો ત્યાં જ હતા અને ટોળાથી બચવા તેમને નાસી જવું પડ્યું. તેની દીકરી પણ કોરોના પોઝીટિવ છે અને એ તો પિતાને અંતિમ વિદાય આપવા પણ આવી ના શકી. "
55 વર્ષના ન્યૂરોસર્જન ડો. સિમોન હરક્યુલસને એપ્રિલની શરૂઆતમાં કોરોના માલુમ પડ્યો હતો, અને ત્યારથી તે હોસ્પિટલમાં હતા. તેમની સ્થિતિ બગડતી ગઈ હતી અને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. રવિવારે તેમને હાર્ટએટેક આવ્યો અને એમાં એ બચી ના શક્યા. તેમનો પરિવાર તેમના મૃતદેહને કીલપૌક કબ્રસ્તાનમાં લઇ ગયો હતો, પણ ત્યાંથી એક ટોળાએ તેમને ભગાડી મુક્યા હતા.
બીજા કબ્રસ્તાનમાં તેમની પર હુમલો થયો પછી પોલીસને બોલવવી પડી. ડૉ. પ્રદીપ પર્સનલ પ્રોટેકટિવ સાધનો અને બે વોર્ડ બોય સાથે ખુદ એમ્બ્યુલન્સ ચલાવીને મૃતદેહને ફરી પાછો કબ્રસ્તાનમાં લઇ ગયા. એ કહે છે:
"ત્યારે ય લોકો ત્યાં હતા. ભૂત જેવી શાંતિ પથરાયેલી હતી. મેં અને વોર્ડ બોયે ફટાફટ મૃતદેહને ખાડામાં ઉતાર્યો. અમને ફરીથી માર પડશે, એવી બીક લાગતી હતી. ખાડો પુરવા માટે ય કોઈ આગળ ના આવ્યું. એક જ પાવડો હતો, જે મેં એક વોર્ડ બોયને આપ્યો અને અમે બે જણાએ હાથ વડે માટી ભરવાનું શરૂ કર્યું. એ જોઈને એક પોલીસવાળો આગળ આવ્યો. ખાડો પુરતાં અમને એક કલાક લાગ્યો. ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો."
પોલીસે આ ઘટનામાં 20 લોકોની ધરપકડ કરી છે.
ડો. પ્રદીપ કહે છે, "હું તમને હાથ જોડું છું. અમે (ડૉકટરો) પણ કોરોનાથી ગભરાઈએ છીએ. અમે જો તમને સારવાર આપવાનું બંધ કરી દઈશું, તો બહુ લોકો મરી જશે, પછી તમારા સગાં-વહાલાં તમારા અંતિમસંસ્કાર કરવા નહીં આવે. ડો. હરક્યુલસ એક ઉચિત અલવિદા તો માગે કે નહીં? તેની સાથે આ બરાબર ના થયું."

(નીચે, જમણે ડો. પ્રદીપ અને ડાબે ડૉ. હરક્યુલસ)

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...