મગજનું લોક ડાઉન...

લોકડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં.

માસ હિપ્નોટીઝમના આ પ્રયોગમાં જાદુગર કોલસાને ગુલાબ જાંબુ કહી ખવડાવી દે એમ મોદીજી પણ " દવા ને બદલે દીવા " પકડાવી દેવામાં સફળ રહ્યા. કેટલાક પરમ ભક્તોતો હવે ધાબે ચઢી દૂરબીનથી કરોના કઈ દીશામાં ભાગી રહ્યો છે તે જોવામાં ઉત્તસુક હશે. જાદુગરનો ખેલ જોનારા તો જાણતા હોય છે કે આ હાથ ચાલાકી છે. જાદુગરો જેમ યુવતીના બે ટુકડા કરે અને બે ટુકડા થયેલી યુવતી ખેલ પુરો થતાં જ દર્શકોની સામે જ ચાલીને ઘરે જતી હોય છે પણ આ રાજકીય જાદુગરીની અસરમાંથી બહાર આવતાં સમય લાગે છે. વળી જેવા ભક્તો બહાર આવવામાં જ હોય ત્યાં બીજો ખેલ એમના મગજ પર કબજો કરી લે છે.

હવે દીવા બુઝાઈ ગયા હોય તો દીમાગની બત્તી ચાલુ કરી વિચારજો કે ક્યાંક નરેન્દ્રભાઈએ કીધું એટલે કરવાનુ જ એ વિવશતા તમને જનતામાંથી જમ્બુરીયામાં ફેરવાઈતો નથી રહીને ? જમ્બુરીયા થાલી પીટેગા ? જી માલીક પીટુંગા"
જમ્બુરીયા દીયા જલાયેગા ? જી માલીક જલાઉગા. અપને દીમાગ કો ચલાયેગા? નહીં માલીક કભી નહીં ચલાઉગા ...જેવા મદારીને જમ્બુરીયા ખેલનો હીસ્સો આપ બની રહ્યો છો. દીવા પ્રગટાવવામાં કોઈ ખામી નથી એનાથી આખે અંધારા લાવી દીવ્યાંગ બનાવી દેતી રાજનીતિ સામે વાંધો છે અને હોવો જોઈએ.

લોકોની હતાશા દૂર કરવાની જવાબદારી લોકો ઉપર જ નાખી ભુવા ભરાડી અને તાંત્રિકો જેવા ટોટકા કરવાનું દેશના પ્રધાનમંત્રીને શોભે નહીં અને મોદીજી દાણા નાખે એટલે ધુણવાનુ શરૂ કરી દેતાં લોકો માટે પણ તે શરમજનક છે. વિશ્વ આખું કોરોના માટે રસી શોધવામાં લાગી છે, વૈજ્ઞાનિક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે આપણે થાળીઓ અને કોડીયાઓમાં અટવાઈ રહ્યા છીએ. એકસો પાંત્રીસ કરોડ લોકોની એકતા દર્શાવવાના નામે કરોનાને હરાવવા જે દીપોત્સવ ઉજવાયો એ શું બૌધિક કે તાર્કિક ઉપાય છે ?
શું એકતા પુરવાર કરવાથી કરોના ગભરાઈ ને ભાગી જાય ખરો ?
લોકોની હતાશા દૂર કરવાની કે આત્મવિશ્વાસ જગાડવાની સંવૈધાનિક ફરજોમાં અસફળ સરકાર મહામારીને અવસરમાં ફેરવવા મનોરંજક કાર્યક્રમો આપે તે દુઃખદ છે.

સમયાનુંસાર ટી.વી.ના માધ્યમથી આકાશવાણી કરતા વડાપ્રધાને જો સરકારની કરોના સામેની તૈયારીઓ વિશે હૈયાધારણ આપી હોત તો મનોજ તિવારી અને નરેન્દ્રભાઈ મોદીમાં આપણે ફરક અનુભવી શક્યા હોત. પ્રજા એકજુટ છે માટે જ લોક ડાઉન મહદઅંશે સફળ છે હવે એકસંપ થઈ જવાબદારી સરકારે નીભાવવાની છે. લોકોએ તમે કહ્યું એટલે થાળી ને તાળી વગાડી, તમે કહ્યું તો દીવા કર્યા હવે લોકોને એ ભરોસો તો આપો કે તમે શું કરી રહ્યા છો ? બધું જનતાએ જ કરવાનુ હોય તો મોદીજી તમે પણ રીન્કીયા કે પાપા જેવા ટીકટોક વીડીયો બનાવી મજા કરો. મોદીજી ભુલી જાય છે કે તેઓ વડાપ્રધાન છે આધ્યાત્મિક ગુરૂ નહીં. આશારામ અને શ્રી શ્રી જેવાઓની સોબતમાં તેઓ પણ ક્યારેક ધર્મગુરુની જેમ વર્તે છે. એઈમ્સથી લઈને તમામ જગ્યાએથી માસ્ક, સેનેટરાઈઝર, વેન્ટિલેટર અને સ્ટાફની સુરક્ષાના અભાવની ફરિયાદ આવી રહી છે ત્યારે મોદીજી કહેવું જોઈએ કે તેમની સરકાર આ તમામ ક્ષેત્રે શું કરી રહી છે. ચિંતા ના કરશો સરકાર તમામ તૈયારીઓ પુર્ણ કરી રહી છે એનો વાસ્તવિક ચિતાર આપવો જોઈએ. તબીબો પર થતા હુમલા સામે આંખ લાલ કરવી જોઈએ. ભગવાને આંખ માત્ર બિચારી અને નબળી જનતા સામે જ લાલ કરવા નથી આપી. લોકોનો આત્મવિશ્વાસ ત્યારે જાગે જ્યારે તેઓ સરકારથી આશ્વસ્ત થઈ ભયમુક્ત બને. દીવાઓ ગણીને પોતાના અંધ સમર્થકોની ગણતરી માંડવા જતાં કરોનાના કેસોની ગણતરી દીવસે ને દીવસે વધી રહી છે તે તરફ ધ્યાન આપવું જોઇએ. આ કોઈ ઈવેન્ટ નથી જેની ઉજવણી કરવી પડે. આફત છે તેનું મેનેજમેન્ટ કરવું પડે.

દુખની વાત એ છે કે માસ હીસ્ટેરીયાની આ સ્થિતિ એ સમજદાર લોકોને લધુમતીમાં મુકી દીધા છે. બૌધિકો મુર્ખ ઠરી રહ્યા છે અને મુર્ખાઓની સર્વવ્યાપી મુર્ખાઈ સરકાર માટે નિષ્ફળતા છુપાવવાનું હાથવગુ હથીયાર બની ગયું છે. ખરેખર તો ભક્તો પણ હવે ચિંતામાં છે કે ક્યાંક મોદીજી ત્રીજો ટાસ્ક સામુહીક ગૌમુત્ર પીવાનો ના આપી દે. મોદીજી કહે એટલે ગાયના પછવાડે ખોબા ધરીને ઉભુ તો રહેવુ જ પડશે એ ભયથી ભક્તોને ચિંતા પેઠી છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 51 A (H) વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં બાધારૂપ અંધશ્રદ્ધાપૂર્ણ પ્રવૃત્તિનો છેદ ઉડાડે છે ત્યારે પ્રધાનમંત્રીજી તરફથી જ આવા વૈજ્ઞાનિક આધારવિહીન કાર્યક્રમો હાસ્યાસ્પદ છે. જો દેશની પુર્વગામી સરકારોએ શીતળા, પ્લેગ, પોલીયો, હડકવા જેવી સમસ્યાઓનો ઉપાય થાળી અને કરતાલમાં કે ધ્વનિમાં શોધવા કર્યો હોત કે દીવાના પ્રકાશમાં શોધ્યો હોત તો આજે સ્થિતિ શું હોત ? પોલીયોની બે બુંદની તબીબી ઝુંબેશે દેશને અપંગતાના શ્રાપથી મુક્ત કર્યો છે ત્યારે દેશને દીમાગી અપંગતા તરફ લઈ જતા પ્રયોગો ચિંતાજનક છે.

નવ ને નવ મીનીટે કરોનાનું નખ્ખોદ ના જ વળ્યું હોય તેવું સમજાય તો બુધ્ધીનું દેવાળું ફુકતા બચાવી લેજો. બાકી કરોનાની બીમારીથી તો ઘરમાં રહી ને બચી શકશો દીમાગી બીમારીથી નહીં. લોક ડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં....

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...