દાન ક્યાં આપવું ?

કરસનકાકાને ઓટલે ઉભેલા જોઈને રમણલાલ માસ્તરે બુમ પાડી,"કાકા તમને મળવા આવું "
કરસનકાકાએ ઈશારો કરીને હા પાડી એટલે રમણલાલ માસ્તર કાકાના ઓટલાથી દુર ઉભા રહીને બોલ્યા," કાકા,આ લોક-ડાઉને પરેશાન કરી નાંખ્યો એટલે તમારી સાથે વાતચિત્ત કરવા આવ્યો છું !"
કરસનકાકા બોલ્યા," માસ્તર નિશાળમાં હેડમાસ્તર કહે તેમ કરવું પડે,ઘરમાં પત્ની કહે તેમ કરવું પડે અને દેશમાં રાજા કહે તેમ કરવું જ પડે,આવો આવો ઘરમાં આવો !"

બન્ને ઘરમાં ગયા અને શકય તેટલા દુર દુર બેઠા !

કરસનકાકાએ પુછ્યું " માસ્તર શું મુંઝવણ છે,પૈસાની કોઈ ચીજની જરુર હોય તો કહો !"
રમણલાલ માસ્તર તરત જ બોલ્યા," ના ના,ઈશ્વરકૃપાએ બઘું સારું જ છે મુંઝવણ તો આ કરોના વાયરસ માટે થોડાંક રુપિયા દાન કરવામાં પડી છે !"

કરસનકાકા બોલ્યા," માસ્તર દાન કરવામાં શું મુંઝવણ થાય,શકતિમુજબ દાન કરી દેવાય !"

રમણલાલ બોલ્યા," કાકા હાલ પ્રધાનમંત્રી રાહત ફંડ અને પ્રધાનમંત્રી કેર નામના બે ફંડ ચાલે છે વળી ગુજરાતના મુખ્યમંત્રીનું ફંડ પણ ચાલે છે તો કયા ફંડમાં ફાળો આપવો તે નક્કી કરી શકતો નથી,તમે કયા ફંડમાં ફાળો આપ્યો ?"

કરસનકાકા સ્મિત કરતાં બોલ્યા," માસ્તર મેં તો ઘોબી ફંડમાં રુ.૧૫૦૦નો ફાળો આપ્યો છે !"
માસ્તર ચમકીને બોલ્યા," ધોબી ફંડ ! "

કરસનકાકાએ કહ્યું " માસ્તર આપણી સોસાયટીના નાકે પેલો મગન ધોબી વરસોથી આપણા કપડાંને ઈસ્ત્રી કરી આપે છે,હવે આ લોકડાઉન આવતાં સોસોયટીમાં લોકો લેંધો ઝભ્ભો કે શર્ટ પહેરીને ઘરમાં બેસી રહે છે,કોઈના ઇસ્ત્રીવાળા કપડાં મેલાં થતા નથી તેથી મગન ધોબી પાસે કોઈ ઈસ્ત્રી કરાવવા જતું નથી અને મગનાની આવક બંધ થઈ ગઈ છે એટલે મેં પ્રધાનમંત્રીના બદલે મગન ધોબીને ૧૫૦૦ રુપિયા આપી ૧૫ દિવસનું કરિયાણું ઘરમાં ભરી લેવાનું કહ્યું છે,લોકડાઉન લંબાશે તો બીજા રુ૧૫૦૦ આપીશ !"

રમણલાલ માસ્તર તરત બોલ્યા ,"  વાહ કાકા વાહ દાન આપવાની તમારી રીત મને ગમી …  … !

કરસનકાકા હસતા હસતા કહ્યું ,માસ્તર આપણા રુપિયા આપણે જ યોગ્ય જગાએ દાન કરી શકીએ,મંદિરમાં કે સરકારી ફાળામાં આપેલા રુપિયા કયા કેવી રીતે વપરાયા તેની કોઈ ગતાગમ પડે નહી તેથી હું તો વરસોથી મારી આવકના ૧૦% આવી રીતે જ દાનમાં આપતો હોઉં છું !"

રમણલાલ માસ્તર ગળગળા થતાં બોલ્યા," કાકા હવેથી હું પણ તમારી જેમ જ યોગ્ય પાત્ર જોઈને દાન કરીશ !"

કરસનકાકા રાજી થઈને બોલ્યા," તો ઉપડો માસ્તર, સરકારી બગીચાના ઝાંપે બેસતાં છગન મોચીને મોચી ફંડ આપી આવો અને મોદી ફંડની મુંઝવણ હટાવી દો !"

પ્રધાનમંત્રી મોદીના બે ફંડમાં અટવાઈ ગયેલા માસ્તર મોચી ફંડમાં રુ.૧૦૦૦નો ફાળો આપી આવ્યા !

પ્રધાનમંત્રીના ફંડમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ બોલીવુડમાં ફિલ્મ દીઠ કરોડો રુપિયા કમાતા કલાકારો અને બીસીસીઆઈની ક્રિકેટ મેચોમાં કે આઈપીએલની ટીમોમાં પસંદ થયેલા ક્રિકેટરો મોટી મોટી રકમના દાન આપી અખબારોમાં ફોટા મુકાવે પણ સામાન્ય વ્યકતિએ તો  પોતાના પરિચીત એવા કોઈ ગરીબ પરિવારને જ મદદરુપ
થવું જોઈએ તેવો વિચાર આવતાં તે ઉપરોકત સંવાદ રુપે રજુ કર્યો છે !

ગમે તો અપનાવજો ના ગમે તો દાન આપવા માટે દેશમાં મંદિરો,આશ્રમો, રાજકિય પક્ષો અને રાજયોના ફંડોની કયા કમી છે !

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...