મ્યુકરમાયકોસિસ...


















મ્યુકરમાયકોસિસ : દુશ્મનને જાણ્યા વગર દુશ્મનથી ડરવું નહીં.


મ્યુકર-માયકોસિસ તરીકે ઓળખતો બીજો જ એક રોગ મીડિયાનાં મોઢે ચડી રહ્યો છે. દિલ્લી અને અમદાવાદમાં મ્યુકરમાયકોસિસના કેસ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોનામાંથી સાજા થયેલા પણ ડાયાબિટીસ ધરાવતા હોય તેવા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે. જો કે આ રોગ નવો નથી પણ જવલ્લે જ જોવા મળતા આ રોગના દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉછાળો આવ્યો છે. જેને લઈને ફરી એક વાર અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે, એટલે આ રોગ અંગે વૈજ્ઞાનિક સમજ હોય તે જરૂરી છે.


1)આ  મ્યુકરમાયકોસિસ છે શું ?

મ્યુકરમાયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં  જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય પ્રતિકારકશક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ગંભીર હોય છે.

કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા સ્ટેરોઈડ અને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. (ઉત્સવ)મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને થોડી બ્રેક મારી ધીમી પાડવી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.


2)કોને થઇ શકે છે આ રોગ?


જેની રોગ પ્રતિકારકક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ડાયાબિટીસ ( એમાય ડાયબેટીક કીટોએસીડોસિસ હોય એ લોકો ) , કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, WBC નું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય , આયર્ન અતિ માત્રામાં હોય (હેમોક્રોમાટોસિસ), ચામડી પર ઊંડો ઘા થયો હોય ....આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે

.

3)આ ચેપ કેવી રીતે લાગે છે?

આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી , જે નાક વાટે શરીરની અંદર ઘૂસી શકે છે. આ સિવાય ચામડીનો ઊંડો ઘા પણ ફૂગને રસ્તો આપી શકે છે.

જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.


4)કેવી રીતે બચવું?

- સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે.

- આ સિવાય  વધુ જોખમ ધરાવતાં લોકોને માટી કે ધૂળના સંપર્કમાં રહેવાનુ થતું હોય(જેમ કે ખેતીકામ કે ગાર્ડનિંગ વગેરે) તો થોડી સાવચેતી રાખવી જેમ કે આખી બાંયના કપડાં પહેરવા, જૂતાં પહેરવા, માટી-કાદવ સાથે કામ કરતાં ગ્લવ્ઝ પહેરવા

- જો ચામડી પર ઘા થાય તો તેને સાબુ અને પાણીથી ધોઈ નાખવો


5)લક્ષણો:


જો નાક વાટે ફૂગ પ્રવેશી હોય અને સાયનસ તેમજ મગજમાં પ્રસરી રહી હોય તો એક બાજુનો ચહેરો ફૂલી જવો/સોજો આવવો, નાક બંધ થઈ જવું, નાકના ઉપરના ભાગે (nasal bridge ) કાળો ચકામો થઈ જાય. જો આ ફૂગ ફેફસામાં પ્રવેશે તો તાવ અને ખાંસી જેવા લક્ષણો જોવા મળી શકે અને ચામડી વાટે ઘૂસે તો ત્યાં ચાંદા જેવુ થઈ જાય અને એ ભાગ કાળાશ પણ પકડી શકે છે.


6)કેવી રીતે પકડી શકાય?


- લેસર એન્ડોસ્કોપી દ્વારા નાક અને સાયનસનું પરીક્ષણ થાય, નાકમાંથી ગંદી વાસ આવતી હોય , નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય

-લાળ, ગળફાં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય.

- અત્યારે હાલ અત્યાધુનિક CT સ્કેન/MRI દ્વારા આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે  શોધી કાઢવામાં આવે છે અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય છે.


7)સારવાર:


ICMRના ગાઇડલાઇન્સ મુજબ લાઈપસોમલ એમપ્ફોટેરિસીન બી (Liposomal Amphotericin B ) (Injection)આપવામાં આવે છે. જો આ દવા પણ કામ ના કરે તો કેસપોફંગીન (Caspofungin) તેની સાથે આપી શકાય. અને અમુક કેસોમાં સર્જરી દ્વારા આંખને પણ કાઢવી પડે કે નાકના અસરગ્રસ્ત ભાગ કે પછી ચેપગ્રસ્ત ટીશ્યુ દૂર કરવામાં આવે છે. આ સાથે દવા તો ચાલુ જ રખાય છે.


મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી વડે આ રોગથી પણ લડી જ શકાય છે. આ રોગ જવલ્લે જ થાય છે એટલે તેનાથી ડરવાની જરૂર નથી , જો તમે રિસ્ક ગ્રૂપમાં આવતા હો તો કાળજી રાખો અને પોતાના ડોકટરના સંપર્કમાં રહો અને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરો.


(નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે. કોઈ પણ સંજોગોમાં ડોકટરની સલાહ લેવી. કોઈ પણ દવા ડોકટરની સલાહ અને જાણ બહાર લેવી નહીં. દર્દીની સ્થિતિનો સાચો જાણકાર અને નિર્ણયકર્તા તેને ટ્રીટ કરનાર ડોકટર જ હોય છે)

-ઉત્સવ પરમાર

સ્રોત 

source

https://www.cdc.gov/fungal/diseases/mucormycosis/index.html

http://iamrsn.icmr.org.in/images/pdf/STG270217.pdf

https://rarediseases.org/rare-diseases/mucormycosis/


••• 2 ••‌•

મ્યુકરમાઇકોસિસ વિશે થોડું જાણીએ


મ્યુકરમાઇકોસિસ  એ એક જાતનો ફૂગ થી થતો રોગ છે .. આ કોઈ નવો રોગ નથી ...પરંતુ ખૂબ ઓછા પ્રમાણ માં રેરલી થતો રોગ છે ... મોટાભાગે આ રોગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો માં જ થાય છે ...કોરોના કાળ પહેલા આ રોગ જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમને જ થતો , જેમ કે HIV ના દર્દી , ખૂબ વધુ ડાયાબિટીસ હોય એમને , અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને રોગ્રતિકારક શક્તિ નું શમન કરવાની દવા પર હોય .. 


પણ કોરોના વાયરસ આપને સહુ જાણીએ છીએ એમ રોગપ્રિકારકશક્તિ ઓછી કરી નાખે છે ... અને એટલા માટે આ ફંગસ કે જે તક નો લાભ લેનાર એટલે કે જેને opportunistic infection કેહવામાં આવે છે તે  ખૂબ જલ્દી માણસ ના નાક અને મોઢા વાટે પ્રવેશ કરી ને નુકશાન કરે છે 


કોરોના માંથી હાલમાં જ સાજા થયેલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે સ્વાભાવિક છે જેથી આ fungus એનો લાભ લઇ અને નાક વાટે અથવા તો મોં વાટે શરીરમાં પ્રવેશી સૌપ્રથમ સાઇનસ પર તથા ઉપલા દાંત અને પેઢા અને તેના જડબાનું હાડકું ને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે... આ fungus જડબાની તથા હાડકાની blood supply ને પણ નુકસાન પહોંચાડે છે જેથી ત્યાં હાડકું સડી જાય છે.. સાઈનસ તથા તેની આજુબાજુ ફૂગ ને વધવા માટે ideal વાતાવરણ હોય છે તેથી આ ફૂગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને થોડા જ દિવસમાં જડબા થી ઉપર વધી આંખને પણ અને પછી મગજને પણ અસર કરે છે...


જો સમયસર સારવાર ના મળે તો આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને અમુક કેસમાં મૃત્યુ પણ થાય છે..


*દર્દીને કેવો અનુભવ થાય છે*


આ રોગમાં દર્દીને શરૂઆતમાં દાંતમાં દુખાવો ,જડબામાં દુખાવો તથા ઉપરના જડબામાં સોજો, નાક ની બાજુ માં સોજો ની શરૂઆત થાય છે... ત્યારબાદ આંખમાં ભારે લાગવું, પેઢામાંથી લોહી નીકળવા અને રસી નીકળવા.., દાંત હલવા લાગવા.. ઘણીવાર આંખમાં ઓછું દેખાવું.. માથામાં દુખાવો થવો.. આ બધાં લક્ષણો હોય છે..


*દર્દીએ શું કરવું જોઈએ*

જો ઉપર મુજબના લક્ષણો દેખાતા હોય તો તાત્કાલિક આપના ડેન્ટલ સર્જન ની મુલાકાત લઇ અથવા તો ઇએનટી સર્જન ની મુલાકાત લઇ ચેક અપ કરાવવું જોઇએ... જરૂર લાગશે તો ડોક્ટર સીટી સ્કેન પણ કરાવશે... અને જો આ રોગ નું નિદાન થાય તો તાત્કાલિક તેની સારવાર કરવી જોઈએ..


મોટાભાગના કેસમાં સર્જરી આવે છે.. સાથે સાથે એન્ટી ફંગલ દવાના ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે..


Oral and maxillofacial surgeon , ENT સર્જન , અને ઘણીવાર આંખના સર્જન તથા ન્યુરોસર્જન ની પણ જરૂર સર્જરી દરમિયાન પડતી હોય છે...


આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી મહેરબાની કરી કોઈપણ જાતના ઘરગથ્થુ ઉપચાર અથવા તો આડોશી પાડોશી ની સલાહ પર કે જેવો એક્સપોર્ટ નથી ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ.. તાત્કાલિક ધોરણે એક્સપર્ટ ને મળી અને સારવાર શરૂ કરવી જોઇએ...


ઓક્સિજન સિલિન્ડર ઘર પર કોરોના પેશન્ટ ને આપતા હો તો તેના રેગ્યુલેટર માં જે પાણીની બોટલ એટલે કે humidifier માં sterile water અથવા તો distilled water  જ વાપરવું જોઈએ..


Mucormycosis આપણી આજુબાજુ માટીમાં ધૂળમાં ઝાડના સડેલા પાંદડાઓમાં , સડી ગયેલા ફળોમાં તથા ઘણી બધી જગ્યાએ હોય છે... રોગ પ્રતિકારક શક્તિ આપણી સારી હોવાના કારણે તે આપણે કંઈ નુકસાન પહોંચાડતો નથી... પણ જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે જ હુમલો કરે છે...


એટલે આપણે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ, વાસી ખોરાક ન રાખીએ અને ન ખાઈએ.. શાકભાજી અથવા તો ફ્રુટ અથવા તો રોટલી-બ્રેડ ને નાક પાસે લઇ જઇ સૂંઘી અને ચેક ન કરીએ.. રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરીએ... આનંદિત રહીએ, ચિંતા ન કરીએ, ગમતી વસ્તુ અથવા કાર્ય પર ધ્યાન આપવું અને કરવું જેમકે મ્યુઝિક સાંભળવું, ચાલવા જવું, યોગા અથવા પ્રાણાયામ અથવા ધ્યાન ધરવું, મિત્રો સાથે વાતો કરવી , સારો હેલ્ધી ખોરાક ખાવો... પોઝીટીવ થીંકીંગ રાખવું .. અને ભવિષ્યનું પોઝિટિવ વિઝન કરવું 


તો આપણે સૌ થોડું ધ્યાન રાખીએ અને પ્રભુને પ્રાર્થના કે આ કઠિન ટાઈમ જલદી વીતી જાય Thanks 🙏

લેખ - ૨ 

હું ર્ડો યશ ડેડાણીયા બરોડા સિવિલ હોસ્પિટલ મા તબીબી અધિકારી તરીકે ફર્જ નિભાવું છું. લોકો હાલ મા ફેલાતો ચેપ મ્યુકરમાઈકોસિસ વિશે ઘણા પ્રશ્નો, અફવા અને ગેરસમજ લઇ ને હોસ્પિટલ એ આવે છે. આથી મને વિચાર આવ્યો કે મારે એક એહવાલ બનાવો જોય જેથી કરી ને લોકો ને સેહલાઈ થી સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી સાચી અને સ્પષ્ટ માહિતી આપી ને આ ગંભીર ચેપ વિશે ની અફવાઓ અને ગેરસમજણ ને દૂર કરી શકાય. લોકો જાગૃત થાઈ અને અફવાઓ થી દૂર રહે એજ ભાવના થી આ પ્રયત્ન કરેલ છે.

1. મ્યુકરમાઈકોસિસ શુ છે?

-મ્યુકરમાઈકોસિસ એ ગંભીર પરંતુ દુર્લભ ફંગલ ચેપ છે જે મુકોર્માઈસેટ્સ નામના મોલ્ડના જૂથને કારણે થાય છે.  મુકોર્માઈસેટ્સ ઘણા પ્રકાર ના હોય છે. આ જૂથ માંથી મોટાભાગે રાઈઝો્પસ અને મુકોર નામ ના ફૂગ થી આ ચેપ થાઈ છે, જે સામાન્ય રીતે વાસી/સળેલ બ્રેડ પર જોવા મળે છે.

2. શું મ્યુકરમાઈકોસિસ એક નવો ચેપ છે?

- ના, મ્યુકરમાઈકોસિસ એક જૂનો ચેપ છે. આ ફૂગ ઘણા વર્ષોથી વાતાવરણ મા રહે છે , પરંતુ તેનું ઓછું વાયર્યુલેન્સ અને તેનું ઓછું ચેપી દર હોવાના કારણે ઘણા કેસો ન હતા.

3. ચેપનો સ્ત્રોત શું છે?

‌-આ ફૂગ ખાસ કરીને જમીનમાં, ખાતર, પશુઓના છાણમાં, સળેલા લાકડામાં, વાસી/સળેલ ખાદ્ય વસ્તુઓ અને છોડની સામગ્રીમાં બનતા સર્વવ્યાપક મોલ્ડ છે. 

4. શું આ ચેપ બધા સામાન્ય લોકો ને થવા ની શક્યતા છે?

-ના,આ ચેપ બધાને થવાની શક્યતા નથી કારણકે ખુબ જ દુર્લભ જાણીતો જૂનો ચેપ છે, ખાલી જેમની રોગપ્રતિકારક શક્તિ તદ્દન ઓછી હોય છે એમને થવાની શક્યતા હોય છે.

5. તોહ હાલ મા ચેપ કેમ વધારે ફેલાઈ રહ્યો છે?

-હાલ મા કોરોના ફેલાઈ રહ્યો છે અને લોકો ની રોગપ્રતિકારક શક્તિ કોરોના ના લીધે ઓછી થઈ જાય છે અને એના ઉપરાંત ગંભીર કોરોના દર્દીઓ ની સારવાર મા જરૂરપડતી સ્ટેરોઇડ્સ નો ઉપયોગ થાઈ છે જે રોગપ્રતિકારક શક્તિ ને વધારે દબાવે છે. આ કારણો સર આ ચેપ હાલ મા વધી રહ્યો છે.

6.આ ચેપ કોણે અને કઈ કેટેગરી ના દર્દીઓ ને થવાની શક્યતા છે?

-જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેમકે,

A) કોરોના સંક્રમિત/રિકવર્ડ દર્દીઓ (હાલ મા સૌથી વધારે આ કેટેગરી ના લોકો ને થાઈ છે.)

B) HIV/AIDS ના દર્દીઓ

C) ઓર્ગન ટ્રાન્સપ્લાનટેશન થયેલ દર્દીઓ 

D)ડાયાબિટીસ ના દર્દીઓ

E) કેન્સર ના દર્દીઓ

F) ગંભીર ઇજા અથવા દાજેલા દર્દીઓ 

G)બિનજરૂરી સ્ટેરોઇડ્સ લેતા દર્દીઓ

7. ચેપ નો ફેલાવો કેવી રીતે થાઈ છે?

-આ ફૂગ કરોડો માઇક્રોસ્કોપિક ગોળાકાર, શ્યામ-હ્યુડ સ્ટ્રક્ચર્સ ઉત્પન્ન કરે છે જેને સ્પોર્સ(ફૂગ બીજકણ) કહેવામાં આવે છે, જે હવામાં વિખેરાય ને જનરલ વાતાવરણ મા મોજુદ રહે છે,

"આથી ઉપર દર્શાવેલ ઓછી રોગપ્રતિકારક વાળા દર્દીઓ/વ્યક્તિઓ જયારે",

-->શ્વાસ લેતા વખતે વાતાવરણ મા મોજુદ સ્પોર્સ ને અંદર લ્યે છે.

અથવા

-->દર્દીઓ એ ફૂગથી દૂષિત ખોરાક/પાણી નો સેવન કરે છે.

અથવા

-->દર્દીઓના ના શરીરમાં ખુલ્લી ઈજા પર ફૂગ સીધી દૂષિત થાઈ છે અને એ દ્વારા ત્વચા મા પ્રવેશ કરે છે અને પછી સંક્રમળ કરે છે.

(આ બધા સંજોગા મા મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતા રહે છે.)

8. કોરોના, ડાયાબિટીસ અને મ્યુકરમાઈકોસિસ ના આપસ મા શું સબંધ છે?

-->જયારે દર્દી કોરોના સંક્રમિત અથવા રિકવર થાઈ છે ત્યારે એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને એના ઉપરાંત દર્દીઓ, જેમણે સ્ટેરોઇડ્સ પ્રાપ્ત કર્યા હોય છે, એ વધારે જોખમ ઉપર છે કારણ કે સ્ટીરોઈડ રોગપ્રતિકારક શક્તિને વધારે દબાવે છે. એટલે ફૂગ સંક્રમિત થવા ની શક્યતા વધી જાઈ છે અને દર્દી ને મ્યુકરમાઈકોસિસ થાઈ છે. આ જ કારણ છે કે જ્યાં સુધી એકદમ જરૂર ન હોય ત્યાં સુધી સ્ટીરોઈડ્સ નો ઉપયોગ ન કરવો જોઇએ, એ બે ધારી તલવાર છે.

-->અને જે દર્દીઓ ને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ હોય અને કોરોના સંક્રમિત થયાં હોય એ ખાસ જોખમ મા હોય છે કારણકે પહેલેથી ડાયાબિટીસ ના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને સ્ટીરોઈડ્સ ના કારણ લોહી મા ગ્લુકોઝ નું પ્રમાણ વધે છે, અને ફૂગ ને એજ જોતું હોય છે શરીર મા સંક્રમણ વધારવા માટે.

-->એટલે ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછું કરે છે, કોરોનાવાયરસ તેને વધુ ઘટાડે છે, અને પછી સ્ટેરોઇડ્સ આગને બળતણ આપવાની જેમ કાર્ય કરે છે અને આથી મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતા વધે છે.

9. મ્યુકરમાઈકોસિસ મા શું થાઈ છે અથવા શું લક્ષણો દેખાઈ છે?

-આંખ કે નાક આસપાસ એક બાજુ સોજો આવવો, અને/અથવા દુખાવો થવો.

-આંખ/નાકની આસપાસ ત્વચાના કાળા ડાઘ બનવા.

-નાક બંધ થાઈ જવું અથવા નાક માંથી લોહી નીકળવું.

-જડબા દુઃખવા , દાત ના ગમ્સ માંથી લોહી નીકળવું, દાત પડી જવો.

-જાખું દેખાવું અથવા બમણું દેખાવું બધું

-માથું દુઃખવું

-શ્વાસ લેવામાં તકલીફ થવી

-છાતી મા દુખાવો થવો

-લોહી ની ઉલ્ટી થવી .

-તાવ આવવો.


10. મ્યુકરમાઈકોસિસ ને કેવી રીતે રોકી સકાય છે?


-વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જરૂરી. 

-વારંવાર આંખ, કાન ને ખંજવાળવું નહિ.

-બારે જાવ એટલે માસ્ક પેરી રાખવું.

-સ્ટીરોઈડ્સ ની જરૂર હોય તો જ લેવાની.

-જે દર્દીઓ ને ડાયાબિટીસ હોય તેવોએ કંટ્રોલ મા રાખવું જરૂરી.

-ગંભીર ઈજાગ્રસ્ટ વ્યક્તિ એ નિયમિત ડ્રેસિંગ કરાવું અથવા સામાન્ય ઇજા વાળા વ્યક્તિ એ એન્ટિસેપ્ટીક સોલ્યૂશન જેમ કે ડેટ્ટોલ/સેવલોન થી સાફ કરવું જરૂરી.

-વાસી ખોરાક નો સેવન ના કરવો.

-જો તમને લક્ષણો દેખાઈ આવે તોહ કોઈ સંકોચ વગર ડૉક્ટર ને બતાવી આવું.


11. મ્યુકરમાઈકોસિસ નું નિદાન કેવી રીતે થાઈ?

-ડૉક્ટર લક્ષણ જોવે છે.

- ટીશ્યું બાયોપસિ કરે છે (અસરગ્રસ્ટ અંગ અથવા ભાગ માંથી પેશી કાઢી ને લેબ મા ટેસ્ટ કરે છે .)

-Ct scan/MRI કરે છે.


12. મ્યુકરમાઈકોસિસ ની સારવાર શુ છે?

A) Surgery- જે ભાગ અથવા અંગ મા થયું હોય તે ભાગ ને નીકાળી ને સંક્રમણ રોકવાનો પ્રયાશ કરવામાં આવે છે.

B)એન્ટિફંગલ ઈન્જેકશન એમ્ફોટેરીસીન બી આપવામાં આવે છે.

C) આ ઉપરાંત એન્ટિફંગલ ઈન્જેકશન પોસોકોનાઝોલ અથવા ઇસાવ્યુકોનાઝોલ સારવાર મા થોડી મદદરૂપ કરી શકે છે.

13. શું આ ચેપ ને હરાવી સકાય છે?

-જી હા. બિલકુલ હરાવી શક્યે છીયે.

જેટલાં વેહલા જાગૃત થશો, એટલા જ વેહલા સાવચેત રેહશો અને તેટલા જ વહેલુ નિદાન અને સરવાર થશે .

અને જેટલી વહેલી સારવાર એટલી જ શક્યતા વધારે છે આ ચેપ ને હરવાની .

તોહ ચાલો સાવચેત રહએ અને બીજા ને પણ સાવચેત રાખ્યે આ માહિતી વધારે ને વધારે શેર કરી ને.

-ર્ડો યશ ડેડાણીયા

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...