બળાત્કાર વિષે...

ઇન્દ્રિયો કાપી નાખવાની માગણી કરતો રોષ હંગામી છે.
સ્ત્રીઓ પર શારીરિક, સામાજિક અને માનસીક બળાત્કારો કરવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ જ છે.
હૈદ્રાબાદની બળાત્કારની ઘટના પછી સમાજનો દંભી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે.જ્યારે કોઈ દેખાવડી,સુંદર,હાઈ સોસાયટીની,ઉચ્ચ વર્ગમાંથી આવતી,શ્રીમંત ઘરાનાની,શિક્ષિત,આકર્ષક આધુનિક યુવતી કે મહિલા સાથે આવી ઘટના બને ત્યારે જ સમાજનો આત્મા કકળે છે,ત્યારે જ  આંખોમાં અગ્નિ આવે છે,ત્યારે જ હૃદય રોવું રોવું થવા લાગે છે,ત્યારે જ કાયદાની નપુંસકતા પ્રત્યે ક્રોધ ભભૂકવા લાગે છે.
પણ આવી એક પણ લાગણી કોઈ  ગરીબ,લાચાર,ઝૂંપડપટીઓ કે ફૂટપાથો પર જિંદગી ઢસડયે રાખતી મહિલાઓ અને માસૂમ બાળાઓ ઉપર બળાત્કાર થાય ત્યારે આપણને નથી થતી.કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે  ખાનગી કંપનીઓમાં ટૂંકા પગારોમાં નોકરી કરતી યુવતીઓનું જાતીય શોષણ થાય ત્યારે આપણો અજર અમર  આત્મા ડૂસકાં નથી ભરતો.ગરીબ નારી દેહ તો હોય છે જ વીંખાવા,પિંખાવા અને કદરૂપા,કદાવર,બિહામણા રાક્ષસી પુરુષોના ભોગવવા માટે.એમાં આપણા પવિત્ર આત્માને રોવડાવવાની શુ જરૂર.છાપામાં એવા સમાચાર રૂટિન ગુના ની એફઆઈઆર રૂપે આવે ત્યારે ઉપરછલ્લી નજર નાખી આપણે બીજા સમાચાર સુધી પહોંચીએ ત્યાં તો એ ઘટના ભૂલી પણ ગયા હોય છીએ.એવું તો ચાલયે રાખે...
 ભૂખ્યા વરુની જેમ બળાત્કારીઓ તૂટી પડે ત્યારે ઉચ્ચ વર્ગની પીડિત મહિલા અને લાચાર ગરીબ વર્ગની મહિલાઓ અલગ અલગ માત્રામાં પીડા ભોગવતી હશે?બંન્નેને સરખો આઘાત નહીં લાગતો હોય?
ના,આઘાત તો એ બંન્ને વર્ગની પીડિતાઓને એક સરખો જ લાગે પણ કમનસીબી એ છે કે આપણને એક સરખો આઘાત નથી લાગતો.બંન્ને કિસ્સાઓમાં આપણાં પ્રત્યાઘાત અલગ અલગ હોય છે.આપણે એટલે આપણે બધા.સમાજ,તંત્ર,અખબારો, મીડિયા,પોલીસતંત્ર,સાશકો,રાજકારણીઓ,ધર્મગુરુઓ,કથાકરો, કહેવાતી નારી સંસ્થાઓ,અદાલતો અને સ્વયં કાનૂન.
દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક લાચાર નારીદેહો અમાનુષી અત્યાચારો અને બળાત્કારનો ભોગ બનતી રહે છે.તેમાંથી કેટલી માસૂમ બાળાઓ અને યુવતીઓ માટે આપણે આંસુ સાર્યા કે કેટલાં બનાવોમાં આપણે મીણબત્તીઓ સળગાવી તેનો હિસાબ એક વખત બધાએ નિરાંતે કરવા જેવો છે.આપણે બળાત્કારોની વેદના અનુભવવામાં પણ સિલેકટિવ છીએ.આપણે એક મહાદંભી સમાજના કાયર કીટાણું છીએ એ સત્ય આપણે કોઈ પણ જાતનો દંભ રાખ્યા વગર એક વખતતો સ્વીકારી લેવાની જરૂર છે.
આપણે મહાન ભારતીય સંસ્કૃતિના ગુણ ગાન ગાવામાંથી ઊંચા નથી આવતા.આખી દુનિયામાં ભારત એક જ એવો દેશ છે જેમાં સ્ત્રીને જગજનની ના રૂપે પૂજવાની પ્રથા છે.બીજા કોઈ દેશ કે ધર્મમાં મહિલાઓ માટે "નારી તું નારાયણી અને જગદંબા અને જોગણીઓ અને આદય શક્તિ ને એવા અનેક અનેક માનવાચક શબ્દો અને વાક્યો અને શાસ્ત્રો અને મંત્રો અને સુભાષિતો રચવામાં નથી આવ્યા.અરે!આપણી પાસે તો નારી ને નારાયણી રૂપે ભજવા માટે સળંગ નવ દિવસનો નવરાત્રીનો તહેવાર પણ છે.પણ એ તહેવાર કેવો વિકૃત થઈ ગયો.માતાજીની સ્તુતિ અને ભક્તિભાવ ભર્યા ગરબા સાથે રાસ રમવાનો તહેવાર નારાયણીઓ માટે અલ્લડપણે  શરીરો ઉલાડવાનો અને નરો માટે એ ઉછળતા શરીરો ને લોલુપ નજરે નિહાળવાનો અવસર બની ગયો.રાસ ગરબાના એ આયોજનો શુ માતાજીની ભક્તિ છે?એ માતાજીની ઉપાસના છે?એ નારાયણીની સાધના છે?એ નારી પૂજા છે?
પણ..આપણને એમાં વાંધો નથી.વેલેન્ટાઈન ડે ની ઉજવણીને હિન્દૂ ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિ ઉપરનું આક્રમણ ગણાવતાં ધર્મરાક્ષકોને નવરાત્રીની વિકૃત ઉજવણીમાં હિન્દૂ સંસ્કૃતિ ઉપર ખતરો નથી જણાતો.એટલે કહું છું કે આપણે દંભી છીએ.નારી સન્માનના બણગાં ફૂંકતા અને નારીને દેવી અને ભગવતી કહેતા આ જ દેશમાં  નવજાત બાળકીઓને દુધપિતી કરવાની અને વિધવાઓને પતિની ચિતા સાથે જીવતેજીવ સળગાવી દેવાની ક્રૂર અને દયાહીન પરંપરા હતી.એવી મહિલાઓને પાછી સતી માતા પણ કહેવાનું અને પૂજવાનું ચલણ હતું.
આ સમાજે સ્ત્રીઓને સદા પુરુષોની દાસી સમજી છે,સ્ત્રીઓને પુરુષો સદીઓથી કચડતા રહ્યા છે.સ્ત્રીઓ ઉપર શારીરિક,સામાજિક અને માનસિક બળાત્કારો કરવાની જ આપણી સંસ્કૃતિ છે.અને છતાં આપણે નારીપૂજા ના પાખંડી ક્રિયા કાંડોને એક મહાન,ભવ્ય અને મહાપવિત્ર સંસ્કૃતિમાં ગણાવીને દંભ આચરતા રહીએ છીએ.
હા, દંભ આપણો  રાષ્ટ્રીય ધર્મ બની ગયો છે.આપણે સત્ય વક્તા નથી બની શકતા,આપણે સત્યની સાથે નથી રહી શકતા,સાચી વાત એ છે કે આપણને અને સત્યને કાંઈ લાગતું વળગતું જ નથી ભલે આપણે આપણને રાજા હરિષચંદ્ર અને ધર્મરાજા યુધિષ્ઠિરના વારસોમાં ખપાવીએ,આપણે હળાહળ જુઠા છીએ.આપણે પાખંડ ધર્મીઓ છીએ.કોઈ રાજનેતા કોઈ દરગાહના દર્શને જાય ત્યારે એ પરધર્મી બની જાય છે પણ મોરારીબાપુ વ્યાસપીઠ ઉપર અલી મૌલાની ધૂન બોલાવે ત્યારે એ સર્વ ધર્મ સમભાવ અને સર્વ ધર્મ સંવાદિતા બની જાય છે.દરેક ઘટનામાં આપણા માપદંડો સગવડીયા અને સ્વાર્થ પ્રેરિત હોય છે. બળાત્કારોમાં પણ બળાત્કારી ક્યા ધર્મ કે કઈ જ્ઞાતિનો છે એના ઉપર આપણા પ્રતિભાવો નક્કી થાય છે.
અત્યારે હૈદ્રાબાદની આ ઘટના પછી "બળાત્કારીઓના કેસ શું ચલાવવાના હોય,હાથ કાપી નાખો,ઇન્દ્રિય જડમૂળમાંથી ખેંચી કાઢો,જીવતા સળગાવી દ્યો"એવા હાકલા પડકારા થાય છે.પણ આખી દુનિયા સળગાવી નાખતો આવો ઉગ્ર રોષ દર વખતે નથી થતો.ક્યા કિસ્સામાં કેટલો રોષ થવો તેના પણ અલગ અલગ માપદંડ છે.કઠુઆમાં એક સાત વર્ષની માસૂમ મુસ્લિમ બાળકી ઉપર સાત દિવસ બળાત્કાર ગુજારાતો રહ્યો અને પછી તેને દાટી દેવામાં આવી ત્યારે આવો કાળઝાળ રોષ કેટલા લોકોને થયો હતો?ન થયો,કારણકે ભોગ બનનારી બાળકી મુસ્લિમ હતી,એ કુકર્મ મંદિરમાં થયું હતું,કુકર્મ અચરનારાઓ વગદાર હતા.ત્યારે એ ઘટનામાં તો પોલીસે નિર્દોષ લોકોને "ફીટ"કરી દીધા હોવાના આક્ષેપો સાથે સરઘસો નીકળ્યા હતા અને જમ્મુ બંધનું એલાન અપાયું હતું.
યુ.પી.ના ઉનાઓની ઘટના યાદ છે?બળાત્કારી ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ પણ નહોતી નોંધતી.એ તો પીડીતાએ યોગીની ઓફીસ બહાર જાત જલાવી એ પછી નછૂટકે પગલાં લેવા પડ્યા.છેલ્લો જાણીતો કિસ્સો પોતાને સાધુ ગણાવતાં ચિન્મયાનંદ નો છે.ભારે દેકારો થયા પછી પોલીસે તેમની ધરપકડતો કરી પણ સાથેજ ફરિયાદી મહિલા અને એના આખા પરિવારને પણ જેલમાં નાખી દીધો.
આવા એક પણ કેસમાં આપણે ઇન્દ્રિયો વાઢી નાખવાની માગણી નહોતી કરી.એ ઇન્દ્રિયો તો અતિ કિંમતી હતી.મોટા માણસોની ઇન્દ્રિયો પણ મોટી હોય.એ બધા કેસમાં આપણે કાયદાની પ્રક્રિયા અને સાબિતી અને પુરવાઓની ડાહી ડાહી દલીલો કરતા હતા.
એટલે અત્યારે ઇન્દ્રિય કાપી નાખવાનો ઉત્સાહ એ ક્ષણિક આવેગ અને રોષની અભિવ્યક્તિથી વધુ કાંઈ નથી.આપણી દંભી પરંપરાની એ એક ભાગ જ છે.
 આ સમાજ પુરુષવાદી સમાજ છે.પુરુષો અને સ્ત્રીઓ માટે ચારિત્ર્યના અલગ અલગ માપદંડો છે.સ્ત્રીઓ સદીઓથી શોષણની ભોગ બનતી આવી છે.સ્ત્રી તો હોય છે જ ભોગવવા માટે એ માનસિકતા આજે પણ એટલી જ જીવંત છે.સ્ત્રીઓએ દંભી પુરુષ સમાજ પાસે હવે રક્ષણ ની અપેક્ષા છોડી દેવી જોઈએ.
બળાત્કારો એમ અટકશે નહીં.કોઈ કાયદો બળાત્કાર નહીં અટકાવી શકે.મહિલાઓએ પોતે જ સશક્ત બનવું પડશે.જોખમોથી સાવચેત રહેતા,જોખમોથી દૂર રહેતા શીખવું પડશે.ચેતતી નારી સદા સુખી.કાયદો કડક જોઈએ એ વાત બેશક સાચી છે.પણ કાયદાનો ભય બધાને એક સરખો લાગવો જોઈએ.ટ્રક દ્રાઇવર એની ક્લીનર કક્ષાના બળાત્કારીઓ અને ઉચ્ચ કક્ષાના,વગદાર,વકીલો પાછળ લાખો ખર્ચી શકતા,પોલીસના ખીચ્ચા ગરમ કરી કેસ નબળો કરવાની શક્તિ ધરાવતા,સાક્ષીઓને ડરાવી ધમકાવીને કે લાલચો આપીને ફોડી નાખતા,કાયદાને વેચાતો લાઇ શકતા વર્ગને પણ જો કાયદાનો એક સરખો ભય લાગે તો જ કાયદો અસરકારક કહેવાય.પણ એવું નથી એ વાસ્તવિકતા છે.આવી આ કાનૂન વ્યવસ્થા,આવી સાશકીય નબળાઈઓ અને આવી સમાજ વ્યવસ્થા માટે આપણે જ જવાબદાર છીએ.હૈદ્રાબાદની આ ઘટના પણ થોડા સમયમાં ભુલાઈ જશે.આપણા મગરના આંસુ પણ સુકાઈ જશે.બળાત્કારો થતાં રહેશે.અને પીડિતાઓના ચિત્કારો અત્યાચારીઓના નગ્ન અટ્ટહાસ્યો હેઠળ દબાતા રહેશે.આપણે વારે તહેવારે ઇન્દ્રિયો કાપી નાખવાની પોસ્ટ લખતાં રહેશું.બીજું કાંઈ આપણે કરીએ પણ શું..?

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...