દુલાભયા કાગના પુસ્તકનો ટૂંકો સાર ...

૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.

      ૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.
 
     ૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.

      ૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

        ૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.

         ૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

         ૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

        ૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.

          ૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

          ૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.

         ૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

           ૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.

              ૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.

            ૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

           ૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.

            ૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.

            ૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

               ૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.

            ૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

            ૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.

         ૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.

         ૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.

        ૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.

         ૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.

        ૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.

       ૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.

        ૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.

        ૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.

       ૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.

       ૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.

       ૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.

        ૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.

        ૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.

      ૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.

       ૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.

      જો મિત્રો આ સાર ભાવ ગમ્યો હોય તો ? વિસ્તાર કરજો કોઈકના જીવનમા ઝબકારો થાયને જીવન બદલાઈ જાય તો વાંચ્યું લેખે લાગશે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...